E-FIR કેવી રીતે નોંધાવી : જામનગરમાં કોલેજના 600 વિદ્યાર્થીઓએ માહિતી મેળવી

  • 2 years ago
જામનગરમાં E-FIR સુવિધાના આરંભ સાથે તેનો લાભ લોકો કઈ રીતે લઈ શકે તે હેતુથી એસ.પી.દ્વારા ધનવંતરી ઓડીટોરીયમમાં સેમીનાર યોજાયો હતો. જેમાં સરકારી-ખાનગી શાળાના 600 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને મોબાઈલ-બાઈક ચોરીની ફરિયાદ પર બેઠા કઈ રીતે કરવી તે અંગેની માહિતી મેળવી હતી.
ગુજરાત સરકાર દ્વારા સામાન્ય પ્રજાને વાહન તેમજ મોબાઈલ ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશન જવું ન પડે અને સામાન્ય નાગરીકો પોતાની ફરિયાદ ઘરે બેઠા કરી શકે તે માટે E-FIRની સુવિધા ચાલુ કરવામાં આવી છે, જેમાં કોઈ પ્રજાજનનો મોબાઈલ કે, વાહન ચોરી થઈ જાય અને આ ચોરી કોને કરેલ છે, તેની તેના માલિકને જાણ ન હોય એટલે કે, આરોપી અજ્ઞાત હોય તેવા કીસ્સામાં સામાન્ય પ્રજા આ E-FIR સુવિધાનો લાભ લઈ શકે છે.
આ સુવિધા જામનગરમાં પણ શરૂ થઈ ગઈ છે અને તેના માટે તેઓએ શું પ્રક્રીયા કરવાની છે અને આ E-FIR કેવી રીતે થઈ શકે તેની જાણકારી લોકોને મળે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ કુલ દ્વારા ધનવંતરી ઓડીટોરીયમ હોલ ખાતે કરીયા સ્કુલ, SVET કોલેજ, મીલા કોલેજ, એસ.બી.શાં સ્કુલ, પ્રાઈમ સ્કુલ, ડી.કે.વી.કોલેજ, સરકારી પોલીટેકનીક કોલેજ, આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓનો એક સેમીનાર રાખવામા આવ્યો હતો, જેમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને E-FIR સુવિધાનો લાભ તેઓ કઈ રીતે લઈ શકે તે બાબતની તમામ જાણકારી મેળવી હતી. આ સેમીનારમાં એસ.પી. ઉપરાંત ડીવાયએસપી એમ.બી.સોલંકી, ફાલ દેસાઈ, જે.એન. ઝાલા તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Recommended