પૂર્વ ચીફ સેક્રેટરી પાંડિયનનો ડ્રાઈવર કેવી રીતે બન્યો 250 કરોડની સંપત્તિનો માલિક?
  • 5 years ago
અમદાવાદ :ગુજરાત સરકારમાં ડ્રાઈવર તરીકે જોડાયેલો ભરતગીરી ગોસ્વામી પોતાની 'વિશિષ્ટ આવડતો'ને લીધે પ્રમોશન મેળવીને ક્લાસ-2 અધિકારી બની ગયો એટલું જ નહિ, આજે તે કરોડોની સંપત્તિનો માલિક હોવાની ચોંકાવનારી વિગતો મળી છે ભરતગીરી સામે આવક કરતાં અનેકગણી વધુ સંપત્તિ હોવાનો કેસ લાંચ રુશ્વત વિરોધી શાખામાં થયા પછી તપાસ કરવામાં આવી હતી તપાસ અધિકારીએ પણ ગુનો બનતો હોવાનો રિપોર્ટ કર્યો હતો તેમ છતાં હવે એન્ટી કરપ્શન બ્યુરોએ આ ફાઈલને 'સંવેદનશીલ' ગણીને ભેદી રીતે કેસ દબાવી દીધો છે એ જોતાં ભરતગીરીના કૌભાંડમાં મોટા માથાંઓ પણ સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે

ભરતગીરીની રહસ્યમય તરક્કી

નેવુના દાયકામાં ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલા જ્યારે રાજ્ય સરકારના મંત્રી હતા ત્યારે ભરતગીરી ડ્રાઈવર તરીકે તેમના સ્ટાફમાં જોડાયો હોવાનું કહેવાય છે એ પછી ઝડપભેર તે ઉચ્ચ સનદી અધિકારીઓનો માનીતો બની ગયો એ વખતે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના ચીફ સેક્રેટરી તરીકે ડીજેપાંડિયન હતા પાંડિયનના કાર્યકાળ દરમિયાન ભરતગીરીને GSPCમાં બદલી મળી એ પછી અચાનક જ તેની તરક્કીએ હરણફાળ ભરી હતી

ડ્રાઈવરમાંથી પ્રોજેક્ટ મેનેજર

સરકારી કર્મચારીઓના પ્રમોશન માટે નિશ્ચિત ધારાધોરણ હોય છે કેટલાંક કિસ્સામાં ખાતાકિય પરીક્ષાઓ પણ હોય છે ડ્રાઈવર તરીકે જોડાયેલ વ્યક્તિ શૈક્ષણિક યોગ્યતા ધરાવતો હોય તો નોકરીના અમુક વર્ષો પછી બહુ બહુ તો ક્લાર્ક તરીકે બઢતી પામી શકે તેને બદલે ભરતગીરીના કિસ્સામાં કોઈ નિયમનું પાલન જ થયું નથી અને તેને GSPCમાં એક્ઝિક્યુટિવ અને પછી તરત પ્રોજેક્ટ મેનેજર (વર્ગ-2) તરીકે બઢતી આપી દેવામાં આવી નોકરીમાં હોદ્દાની તરક્કીની સાથે ભરતગીરીની સંપત્તિમાં પણ અનેકગણો વધારો થતો ગયો છે

પેથાપુર નજીક 250 કરોડની જમીનનો માલિક

ભરતગીરી હાલ ગાંધીનગરને અડીને આવેલ પેથાપુર ગામ પાસે મોકાની જગ્યાએ આશરે 11 હેક્ટર જમીનની માલિકી ધરાવે છે સર્વે નં 2668, 2073, 2609, 2661, 2657, 2072, 2608 વગેરેમાં આવેલ જમીનો ભરતગીરીએ છેલ્લાં દોઢ દાયકામાં ખરીદેલી છે જંત્રી મુજબ આશરે રૂ 12 કરોડમાં ખરીદાયેલી આ જમીનની કિંમત આ વિસ્તારમાં બજારભાવ મુજબ રૂ 250 કરોડથી પણ વધુ થાય તેવો અંદાજ છે એ ઉપરાંત ભરતગીરી ગાંધીનગર સેક્ટર-8માં સાડા ત્રણસો વારનો બંગલો, બે ફ્લેટ ઉપરાંત સેક્ટર-25માં એક પાર્ટી પ્લોટમાં પણ ભાગીદારી ધરાવતો હોવાનું કહેવાય છે અલબત્ત, તેનાં પુરાવા સાંપડ્યા નથી

ફરિયાદ થઈ, તપાસ પણ થઈ પરંતુ

ભરતગીરી સામે આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ હોવાની એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ થવાથી 21 જાન્યુઆરી, 2017ના રોજ ACBના મદદનીશ નિયામક રૂપલ સોલંકીને તપાસ સોંપવામાં આવી મદદનીશ નિયામકની ટીમે સાડા ચાર મહિના સુધી વિવિધ સૂત્રો મારફત તપાસ કરતાં ભરતગીરીએ આવકની સરખામણીએ રૂ 11 કરોડ 57 લાખ જેટલી વધુ સંપત્તિ વસાવી હોવાનું શોધી કાઢ્યું હતું આ અંગે તપાસ અધિકારી રૂપલ સોલંકીએ લેખિત અહેવાલ પણ રજૂ કર્યો હતો, જેમાં આરોપી ભરતગીરી સામે ગુનો બનતો હોવાનું સ્પષ્ટ તારણ આપવામાં આવ્યું હતું એ પછી ભરતગીરીનું નિવેદન લેવાવું જોઈએ, ધરપકડ થવી જોઈએ, જરૂર હોય તો વધુ તપાસ હાથ ધરાવી જોઈએ તેને બદલે ભેદી રીતે તપાસનું ફિંડલું વાળી દેવામાં આવ્યું હતું


એક ડ્રાઈવરની ફાઈલ સંવેદનશીલ કઈ રીતે ગણાય?

સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન્સ મુજબ લાંચ રૂશ્વત બ્યુરો સમક્ષ થયેલી અરજી સ્વિકાર્યા બાદ FIR દાખલ થાય પછી FIRની નકલ અને તપાસનો અહેવાલ વેબસાઈટ પર મૂકવાનું ફરજિયાત છે ભરતગીરીના કેસમાં FIR થઈ છે, તપાસનો અહેવાલ પણ પોઝિટિવ રિપોર્ટ આપે છે આમ છતાં એ કેસની એકપણ વિગત વેબસાઈટ પર મૂકવામાં આવી નથી એ અંગે એન્ટી કરપ્શન બ્યુરો આ ફાઈલ 'સંવેદનશીલ' હોવાનું કારણ આગળ ધરે છે એક ડ્રાઈવર સામેનો અપ્રમાણસર મિલકતનો કેસ સંવેદનશીલ કેવી રીતે હોઈ શકે?

ભરતગીરીએ કઈ રીતે આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ વસાવી? કોણ છે મોટા માથાંઓ, જેને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? નક્કર પુરાવાઓ સાથેની સ્ફોટક વિગતો વાંચો આવતીકાલે
Recommended